કોરોના અમદાવાદ શહેરમાં ભાજપ કોર્પોરેટર સહિત કોરોનાના 290 નવા કેસ અને 22ના મોત, કુલ કેસ 13,063-મૃત્યુઆંક 910

આજે 205 દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ 8,932 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં

અમદાવાદ. શહેરમાં 2 જૂનની સાંજથી 3 જૂનની સાંજ સુધીમાં કોરોનાના 290 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 22 દર્દીના મૃત્યુ થયા છે અને 205 દર્દી સાજા થયા છે.આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસ 13,063 અને મૃત્યુઆંક 910 થયો છે. જ્યારે 8,932 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયા અને વોર્ડ પ્રમુખ રાકેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

શહેરના હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જ્યાં તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. તેમની સાથે સાથે હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડના ભાજપ પમુખ રાકેશ પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવતા તેમની પણ તબીબોની દેખરેખમાં સારવાર ચાલુ કરવામાં આવી છે.

જિલ્લામાં 24 કલાકમાં 22 પોઝિટિવ કેસ અને 1 દર્દીનું મોત
અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 22 પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે વિરમગામના 6 લોકો ડિસ્ચાર્જ થયા છે. નોંધાયેલા 22 કેસમાં 9 કેસ વિરમગામ, 7 કેસ સાણંદ, 3 કેસ દસક્રોઈ, 2 કેસ ધોળકા અને 1 દેત્રોજમાં નોંધાયો છે. દસક્રોઈના બારેજામાં આવેલ ગોવર્ધન મંદિરના રહેતા 51 વર્ષના પુરુષનું મોત થયું છે. જિલ્લામાં કુલ કેસનો આંકડો 273 પર પહોંચ્યો છે.

Comments